રિલાયન્સના એન્જિનિયરની પત્નીએ 4 લાઇનની સુસાઇડ નોટમાં લખ્યું: “હું દુનિયાથી જઈ રહી છું, પતિ અપને ઘરવાળો કાંઈ ખુશ રાખે મેં સહન નહીં કરી પાઈ”; પતિ, સસરા-સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો
વડોદરા: શહેરમાં પિયરમાંથી પૈસા લાવવા માટે પરિણીતાને કથિત રીતે માનસિક ત્રાસ આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે
વડોદરામાં રહેતી રિલાયન્સ કંપનીના એન્જિનિયરની પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મૃતક મહિલાએ પગમાં પેનથી લખેલી ચાર લાઇનની સુસાઇડ નોટમાં પોતાના મોત પાછળ પતિ સહિત સાસરિયાઓને જવાબદાર ઠેરવ્યા હોવાની માહિતી સામે આવી છે.
મળતી વિગતો મુજબ, મૃતકના લગ્નને આશરે ત્રણ વર્ષ થયા હતા. લગ્ન બાદથી જ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી રૂપિયા લાવવાનું દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ પતિ તથા સાસરિયાઓ દ્વારા આશરે ₹2 લાખ લાવવા માટે વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો.
8 મહિનાની બાળકી માતાની છત્રછાયા ગુમાવી
આ સમગ્ર ઘટનાને વધુ કરુણ બનાવતી બાબત એ છે કે મૃતક મહિલાને માત્ર 8 મહિનાની પુત્રી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકીની જવાબદારી પણ પડોશીને સોંપવામાં આવી હતી. ઘટનાના પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પેનથી પગ પર લખી ચાર લાઇનની સુસાઇડ નોટ
મહિલાએ અંતિમ પગલું ભરતા પહેલાં પોતાના પગ પર પેનથી ચાર લાઇન લખી હોવાની માહિતી સામે આવી છે. તેમાં તેણે પતિ અને સાસરિયાઓ દ્વારા આપવામાં આવતાં કથિત ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું પરિવારજનોનું કહેવું છે.
સુસાઇડ નોટમાં “હું દુનિયાથી જઈ રહી છું…” જેવા શબ્દો લખાયેલા હોવાનું સામે આવ્યું છે. આ લખાણ હવે સમગ્ર ઘટનાની તપાસમાં મહત્વના પુરાવા તરીકે જોવામાં આવી રહ્યું છે.
પ્લોટ માટે ₹2 લાખની માંગણીનો આક્ષેપ
પરિવારજનોના આક્ષેપ મુજબ, પ્લોટ ખરીદવા માટે મૃતકના પતિએ પિયરમાંથી રૂપિયા લાવવાનું દબાણ કર્યું હતું. મે-2026 દરમિયાન ફોન કરીને પણ ₹2 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાએ આ બાબતે પોતાના પરિવારને જાણ કરી હતી અને સાસરિયાઓના કથિત ત્રાસથી તે લાંબા સમયથી પરેશાન હોવાનું પણ સામે આવ્યું છે.
‘ફોન રિપેર કરાવી આપો, નહીં તો જાનથી મારી નાખીશ’નો કથિત મેસેજ
તપાસ દરમિયાન મૃતકના પતિના ભાઈને મોકલવામાં આવેલા એક મેસેજની પણ પોલીસને માહિતી મળી હોવાનું જણાવાય છે. તેમાં ફોન રિપેર કરાવી આપવાની માંગણી સાથે ધમકીભર્યા શબ્દો લખાયેલા હોવાનો આક્ષેપ છે.
પરિવારજનોનું કહેવું છે કે મૃતક મહિલા સાસરિયાઓના કથિત માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી. જોકે આ તમામ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પાડોશીને બાળકી સોંપી, થોડા સમય બાદ કરુણ અંત
ઘટના પહેલાં મહિલાએ પોતાની 8 મહિનાની પુત્રીને પડોશીને સોંપી હતી અને પોતે રસોઈ બનાવવાનું કહી હતી. થોડા સમય બાદ બાળકી રડતી હોવાનું ધ્યાનમાં આવતા પાડોશી મહિલાના ઘરે પહોંચી હતી. ત્યાં મહિલા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હોવાની માહિતી છે.
પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા
ઘટનાની જાણ થતાં પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં પગ પર પેનથી લખાયેલી સુસાઇડ નોટ મળી હોવાની માહિતી છે.
આ મામલે જવાહરનગર પોલીસે પતિ સુધિરકુમાર, સસરા અને સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો, મોબાઇલ ફોન, મેસેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
