₹1.24 કરોડની જમીનનો બનાવટી પાવર ઓફ એટર્નીથી સોદો કર્યાનો આક્ષેપ, દસ્તાવેજો તૈયાર કરનાર સહિત અનેક સામે કાર્યવાહી માગ
વડોદરા:
શહેરના સમા વિસ્તારમાં જમીનના વેચાણને લઈને છેતરપિંડીનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જમીન માલિકોની જાણ બહાર બોગસ દસ્તાવેજો તૈયાર કરી પાવર ઓફ એટર્નીના આધારે કરોડો રૂપિયાની જમીનનો સોદો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જમીન વ્યવહારો સાથે સંકળાયેલા લોકોમાં ચકચાર મચી છે.મળતી માહિતી મુજબ સમા વિસ્તારમાં રહેતા સુનિલ રફાયલ પરમાર સામે જમીન સંબંધિત છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે જમીન માલિકો સાથે વિશ્વાસઘાત કરીને તેમની જાણ બહાર બોગસ દસ્તાવેજોના આધારે અંદાજે ₹1,24,20,000ની કિંમતનો જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો.જમીન માલિકોની જાણ બહાર પાવર ઓફ એટર્ની તૈયાર કર્યાનો આક્ષેપફરિયાદ મુજબ આરોપીએ જમીન માલિકોના નામે બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરાવી હતી. આ દસ્તાવેજોમાં ખોટી સહીઓ તેમજ ખોટા ફોટોગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ત્યારબાદ આ બોગસ દસ્તાવેજોને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી તેની નોંધણી કરાવવામાં આવી હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.આગળ જઈને બનાવટી દસ્તાવેજોના આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ તૈયાર કરી ખરીદદારોને જમીનનો સોદો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ જમીનની કિંમત ₹1.24 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.તપાસ દરમિયાન નકલી સોગંદનામું પણ સામે આવ્યુંપોલીસ તપાસ દરમિયાન સમગ્ર પ્રકરણમાં વધુ એક મહત્વની બાબત સામે આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપી દ્વારા જમીન માલિકોના નામે બોગસ સહીઓ અને ખોટા ફોટા લગાવી નકલી સોગંદનામું તૈયાર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.આ સોગંદનામાના આધારે બિનશરતી પરત ખેંચવા અંગેનો પત્ર ટપાલ મારફતે મોકલી તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન પોલીસે દસ્તાવેજો અને તેમાં થયેલી સહી-ફોટોની વિગતો અંગે તપાસ હાથ ધરી છે.અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગે પણ તપાસફરિયાદમાં નરેન્દ્ર શોભરાજમલ મુલચંદાની, જયેશ મણીલાલ પટેલ અને અતુલ જેરામ દેસાઈ સહિતના વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિઓએ જમીનના સોદા અને બોગસ દસ્તાવેજોની પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ફરિયાદી પક્ષનું કહેવું છે કે જમીન માલિકોની જાણ અને સંમતિ વિના તૈયાર કરાયેલા દસ્તાવેજોના આધારે જમીનનો વ્યવહાર કરવામાં આવ્યો હોવાથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.કડક કાર્યવાહી કરવાની માંગજમીન માલિકો અને તેમના સાહેદ કેતનભાઈ મોતીલાલ ગુર્જરને સમગ્ર છેતરપિંડીની જાણ થતાં તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સુનિલ પરમાર સહિત આ કથિત કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.હવે પોલીસ દ્વારા ફરિયાદમાં દર્શાવાયેલા દસ્તાવેજો, પાવર ઓફ એટર્ની, સોગંદનામું, વેચાણ દસ્તાવેજ તથા તેમાં થયેલી સહીઓ અને ફોટોગ્રાફની ચકાસણી કરવામાં આવશે.
આ સમગ્ર પ્રક્રિયામાં કોની ભૂમિકા હતી અને જમીનનો સોદો કેવી રીતે કરવામાં આવ્યો તે અંગેની હકીકત પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.₹1.24 કરોડની જમીન સાથે જોડાયેલા આ મામલામાં બોગસ દસ્તાવેજો તૈયાર કરીને રજિસ્ટ્રેશન કરાવવાના આક્ષેપોએ જમીન વ્યવહારોની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઉભા કર્યા છે.
