વડોદરા: શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને તાંત્રિક વિધિઓ અને અંધશ્રદ્ધાના નામે સતત માનસિક રીતે હેરાન કરી, લાખો રૂપિયાની માંગણી કરનાર એક ભુવાજીની પોલીસે ધરપકડ કરી છે. યુવતીને વારંવાર ધમકી આપવામાં આવતી હતી કે, “તું યુવકને છોડી નહીં દે તો તારા પર સવાર થઈ જઈશ”, જેના કારણે યુવતી ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી.
મોડેલિંગ કરતી યુવતીને બનાવી શિકાર
મળતી માહિતી મુજબ, તુલસીવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી શહેરના કારેલીબાગ સ્થિત એક ફોટો સ્ટુડિયોમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. યુવતી મોડેલિંગનું કામ પણ કરતી હતી. દરમિયાન તેનો સંપર્ક છાણી જકાતનાકા વિસ્તારના ગિરિશ ઉર્ફે બાપુ ચંદુલાલ પરમાર સાથે થયો હતો, જે પોતાને તાંત્રિક અને ભૂવા તરીકે ઓળખાવતો હતો.અંધશ્રદ્ધાના નામે શરૂ થયું શોષણપરિવારના જણાવ્યા મુજબ, યુવતીને શરૂઆતમાં તાંત્રિક વિધિઓ દ્વારા સમસ્યાઓ દૂર કરવાની વાતો કહી વિશ્વાસમાં લેવામાં આવી હતી. બાદમાં આરોપીએ યુવતીના વાળ, મધ, માળા અને અન્ય વ્યક્તિગત વસ્તુઓ મેળવી તાંત્રિક વિધિઓ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી સતત યુવતીને મળવા માટે દબાણ કરતો હતો અને તેના પાસેથી પૈસા પડાવતો હતો.તપાસમાં સામે આવ્યું છે કે યુવતીએ આરોપીને અંદાજે એક લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં આરોપી વધુ પૈસાની માંગણી કરતો રહ્યો હતો.ધમકીઓથી વધતો ગયો માનસિક ત્રાસપોલીસ તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપી યુવતીને વારંવાર ધમકાવતો હતો કે જો તે એક યુવક સાથેના સંબંધો નહીં તોડે તો તેના પર અશુભ અસર થશે અને તે “સવાર થઈ જશે”. આવી ધમકીઓ અને અંધશ્રદ્ધા ફેલાવી આરોપી યુવતીને સતત ભયના માહોલમાં રાખતો હતો.
પરિવારજનોએ પોલીસને આપેલી માહિતી મુજબ, આરોપી ઘેર પણ આવતો-જતો હતો અને યુવતી પર માનસિક દબાણ વધારતો હતો. જેના કારણે યુવતી ગંભીર તણાવમાં આવી ગઈ હતી.ઝેરી દવા પીતા સારવાર દરમિયાન મોતગત 29 ડિસેમ્બરે યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. તબિયત લથડતા તેને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ICUમાં સારવાર દરમિયાન ત્રણ દિવસ બાદ યુવતીનું મોત નીપજ્યું હતું.શરૂઆતમાં પરિવાર સામાજિક બદનામીના ડરથી ખુલ્લેઆમ ફરિયાદ કરવા આગળ આવ્યો નહોતો.
જોકે FSL રિપોર્ટ અને મોબાઇલ ડેટાની તપાસ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.મોબાઇલ અને FSL તપાસમાં મહત્વના પુરાવાપોલીસે યુવતીનો મોબાઇલ અને અન્ય ડિજિટલ પુરાવા FSLમાં મોકલ્યા હતા. મોબાઇલમાંથી ડિલીટ કરાયેલા ચેટ, કોલ રેકોર્ડ અને અન્ય માહિતી રિકવર થતાં આરોપી દ્વારા કરવામાં આવતું દબાણ અને ધમકીઓના પુરાવા મળ્યા હતા. આ આધારે પોલીસે ગિરિશ ઉર્ફે બાપુ ચંદુલાલ પરમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસની અપીલ
વડોદરા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ તાંત્રિક વિધિ, બ્લેકમેલિંગ અથવા અંધશ્રદ્ધાના નામે શોષણનો ભોગ બનતો હોય તો તરત જ પોલીસનો સંપર્ક કરે. આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
